20130419

નેતાગીરીઃ મહાત્મા ગાંધીની, નહેરુવીયનોની અને નરેન્દ્ર મોદીની


નેતાગીરીઃ મહાત્મા ગાંધીની, નહેરુવીયનોની અને નરેન્દ્ર મોદીની
આમ તો આપણને અવાર નવાર વાંચવા મળે છે કે નરેન્દ્ર મોદી આપખુદ છે, બધા નિર્ણયો પોતેજ કરે છે, બીજાઓને સાથે લઈને ફરતો નથી, કોઈને ઉપર આવવા દેતો નથી, પોતાના પક્ષના વિરોધીઓને પાડી દે છે વિગેરે વિગેરે.
એટલે કે નરેન્દ્ર મોદીની નેતાગીરી આદર્શ ન કહેવાય એવું પોતાને વિશ્લેષક માનનાર કેટલાક મીડીયા મૂર્ધન્યો માને છે.
આ વિશ્લેષકોએ શું કદી જે એલ નહેરુની નેતાગીરીનું આ પ્રમાણે વિશ્લેષણ કરેલું?
નેતાનું કર્તવ્ય
નેતાનું પોતાના સાથીઓ પ્રત્યે એક કર્તવ્ય હોય છે કે તે પોતાના સાથીઓને એક પગથીયું ઉપર ચડાવે. એટલે કે તેના સાથીઓનો, અનુયાયીઓનો પણ માનસિક અને બૌધિક વિકાસ કરે. માનસિક એટલે અહીં એવો અર્થ કે સમાજ પ્રત્યેના વ્યવહારની સમજણ શક્તિ અને બૌધિક એટલે કે નિર્ણયોને અમલમાં મુકવાની આવડત.
નેતાઓના ધ્યેય આમ તો સમાજને સુખી કરવાના હોય છે. પણા આતો વૈચારિક વાત થઈ.
તેના આડહેતુઓ “સ્વ”ની સત્તા અને “સ્વ”ની સુખસગવડો વધારવાના પણ હોય છે.
બીજો આડહેતુ એ પણ હોય કે પોતે એવો અનુગામી નેતા મુકે જે પોતે પ્રસ્તુત કરેલી નીતિઓ ચાલુ રાખે
જો નેતાનો મુખ્ય હેતુ સત્તાનો હોય (જે ઘણીવાર આડ અને પ્રચ્છન્ન  હોય છે) તો, તેનો અનુગામી તેનું સંતાન જ હોય છે.
મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી સમાજમાં વૈચારિક પરિવર્તન લાવવા માગતા હતા. તેમ કરવામાં આમ જનતાની સામેલગીરી રાખવામાં માનતા હતા.
મહાત્મા ગાંધી જ્યારે કોંગ્રેસમાં દાખલ થયા ત્યારે કોંગ્રેસ, એરીસ્ટ્રોકેટ બૌધિકોની સંસ્થા હતી. પણ ગાંધીજીએ તેને બધા માટે ખુલ્લી કરી. મહાત્મા ગાંધીએ કોંગ્રેસને અહિંસક માર્ગે અને સ્વદેશપ્રેમને માર્ગે જતી એક સંસ્થા બનાવી.
એટલે કે જેઓ અહિંસા અને સ્વદેશપ્રેમ બંનેને સ્વિકારે તેઓ કોંગ્રેસમાં આવકાર્ય ગણાયા. સ્વદેશપ્રેમ અને અહિંસા એ બેમાંથી એકમાં જ વિશ્વાસ હોય તો ન ચાલે. બંનેમાં વિશ્વાસ હોવો જોઇએ અને આચરણ પણ તે જ હોવું જોઇએ. જો કે આ વાત અને આને લગતી ચળવળોને સમજવામાં ઘણા ધુરંધર નેતાઓને વાર લાગી હતી. સ્વદેશપ્રેમ એટલે સ્વદેશી વસ્તુઓના આગ્રહનો પણ સમાવેશ થતો હતો. અહિંસામાં સવિનય કાનુનભંગ અને સત્યાગ્રહનો પણ સમાવેશ થતો હતો.
જેઓ બરાબર સમજ્યા ન હતા તેઓએ સવિનય કાનુન ભંગ અને કે અથવા સત્યાગ્રહ અને કે અથવા સ્વદેશીના આગ્રહનો વિરોધ પણ કરેલો. તેમાં કોણ કોણ હતા તેની ચર્ચા ન કરીએ. પણ જેઓ અહિંસક આંદોલનમાં માનતા ન હતા તેમાં સુભાષ ચંદ્ર બોઝ મુખ્ય હતા. જોકે સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી વચ્ચે આ બાબતમાં કોઈ કડવાશ ન હતી. છતાં કેટલાક આ વાતને ચગાવે છે.
પક્ષ એક વખત એવું નક્કી કરે કે આપણે અહિંસક ચળવળ દ્વારા જ સ્વાતંત્ર્ય લાવવું છે, પણ જો એવું બને કે લોકો તાનમાં ને તાનમાં કોઈ એવી વ્યક્તિને ચૂંટી કાઢે કે જેને અહિંસામાં વિશ્વાસ ન હોય. જો આવું બને તો પક્ષે પોતાના સિદ્ધાંતો બદલ્યા છે એવો સંદેશો જનતાને જાય, તો પછી પક્ષે હવે આ પક્ષે ચળવળના સિદ્ધાંતો અને તેથી કરીને તેની પ્રણાલીઓ બદલશે તેવો ઠરાવ પસાર કરવો જોઇએ. પણ આવું કર્યા વગર તમે જુદા માર્ગે ન જઈ શકો. કોંગ્રેસમાં પક્ષપ્રમુખની ચૂંટણીમાં આવું થયું. સુભાષ બાબુ ચૂંટાઈ આવ્યા. કારોબારીના સભ્યો કે જેઓ પોતે પણ ચૂંટાયેલા હતા તેઓએ સામૂહિક રાજીનામા આપ્યાં. એટલે સુભાષબાબુએ નીતિમત્તાના ધોરણે રાજીનામું આપ્યું. સુભાષબાબુના દેશપ્રેમ વિષે ગાંધીજીને કે કોઈને પણ કશી શંકા ન હતી. પણ આ સૈધાંતિક મતભેદ હતો. તેથી સુભાષબાબુએ કોંગ્રેસના બંધારણનો આદર કર્યો.
આવી જ વાત જીન્નાની હતી. તેમને અસહકાર અને સત્યાગ્રહમાં વિશ્વાસ ન હતો. વખત જતાં તેમનો અહિંસા પરત્વેનો અવિશ્વાસ છતો થયો. તેઓ બંને કોંગ્રેસમાંથી વિદાય થયા હતા.
ગાંધીજીનો એક બીજો પણ સિદ્ધાંત હતો જે શોષણહીનતાનો હતો. આ વાત બહુ ઉચ્ચ સ્તરે આવી ન હતી કારણ કે આ વાત ઉત્પાદન અને તેની વહેંચણીની પ્રણાલીની હતી. આ મુદ્દો તો સ્વતંત્રતા આવે તે પછી ઉત્પન્ન થાય અને તે પછી અસરકારક બને તેમ હતો. પણ ગાંધીજીએ પોતાના સ્વપ્નના ભારતમાં આ વાતો લખી રાખેલ. જવાહરલાલ નહેરુને જોકે આ સિદ્ધાંતમાં બહુ વિશ્વાસ ન હતો. પણ તેઓએ આ વાત પ્રગટ ન કરેલી અને બધું મભમ રાખેલ. જો ગાંધીજી વધુ જીવ્યા હોત તો આ મુદ્દા ઉપર નહેરુનો વિરોધ કરત. અને મીલમાલિકોને બેફામ થવા ન દેત.
જો આવું થાત તો કોંગ્રેસના બે ભાગ પડી જાત. એક વલ્લભભાઈની કોંગ્રેસ અને બીજી નહેરુની કોંગ્રેસ.
આ શક્ય ન બન્યું કારણ કે ગાંધીજી અને સરદાર પટેલ વહેલા વિદાય પામ્યા. પણ એક વાત ચગી કે ગાંધીજીએ સુભાષબાબુને અન્યાય કર્યો. આનો લાભ પશ્ચિમ બંગાળે લીધો અને ત્યાં સામ્યવાદીઓ ફાવ્યા.
ગાંધીજીએ પોતાના વૈચારિક અનુયાયીઓ ગામે ગામ તૈયાર કરેલ. તેમના વિચાર થકી ઘણા બધા મીની-ગાંધીઓ તૈયાર થયેલ. અને આ મીની ગાંધીઓ પણ મીની-મીની-ગાંધીઓ તૈયાર કરી રહ્યા છે.
મીની ગાંધીઓ અને મીની-મીની-ગાંધીઓ એટલે શું?
મીની ગાંધીઓ એટલે જયપ્રકાશ નારાયણ, વિનોબાભાવે, દેશપાંન્ડે, રવીશંકર મહારાજ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચન્દ મેઘાણી, જુગતરામકાકા, ઢેબરભાઈ, આત્મારામભાઈ, શંભુશંકરભાઈ, બબલભાઈ, ચૂનીભાઈ, મનુબેન, મણીબેન, જેવા નાના મોટા ગાંધીવાદી નેતાઓ દરેક પ્રાંતોમાં પેદા થયા હતા. તેવીજ રીતે આ મીની ગાંધીઓએ પણ ગાંધીવાદી લોકોનો નવો ફાલ તૈયાર કરેલ જેમાં નારાયણભાઈ દેસાઈ, સુદર્શનજી, કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, હસમુખભાઈ, જગદીશભાઈ, હર્શદભાઈ માવાણી, બંસીભાઈ પટેલ, તુલસીભાઈ સોમૈયા, જેવા અનેક ગાંધીવાદીઓ આજની તારીખે પણ ત્યાગપૂર્વક ગાંધીજીનું કામ ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં કરી રહ્યા. દરેક રાજ્યમાં છેવાડેના પ્રદેશમાં પણ તમને ગાંધીવાદી લોકસેવક મળી જશે.
બધા ગાંધીજી જેવું કામ ન કરી શકે. પણ એક વિચાર તરીકે તે દીવો પ્રજ્વલિત રાખવા વાળા કોઈ ગાંધીવાદી ગુરુવગર પણ આપોઆપ ઉત્પન્ન થતા રહેશે. ગાંધી વિચારનો આ પ્રભાવ છે. ગાંધી યુગપુરુષ હતા જે હજાર બે હજાર વર્ષે જ પાકે.
જવાહરલાલ નહેરુની નેતાગીરીએ શું બીજી હરોળ ઉભી કરેલી?
નાજી. જવાહરલાલ નહેરુનો લોકશાહીવાદી સમાજવાદ ખરો પણ તેનું વૈચારિક સ્થુળત્વ શું છે તે કોઈ જાણતું ન હતું. ગાંધીજી પણ નહીં. અને ગાંધીજીના કહેવા પ્રમાણે કદાચ નહેરુ પોતે પણ નહીં.
જો નેતાગીરી વિષે આમ જ હોય તો તેમાં ખરાબ શું કહેવાય? ખરાબ વસ્તુ એ છે કે જે વાતને સિદ્ધાંત સાથે લેવા દેવા ન હોય પણ જો કોઇ વ્યક્તિ પ્રતિસ્પર્ધી બની જાય તો તેને બદનામ કરી દૂર કરવો, આ વાત ખરાબ કહેવાય.
સમાજવાદને જો એક વાડો બનાવી દેવામાં આવે તો તે સુપર કેપીટાલીઝમ થઈ જાય. જેમાં સરકાર પોતે જ મૂડીવાદી થઈ જાય. નેતાઓ વહીવટદારો સાથે મળીને પૈસાદાર થઈ જાય.. કારણ કે ઉત્પાદક, વિતરક અને તેના ઉપર નીગરાની રાખનાર નિરીક્ષક પણ એક જ સંસ્થા હોય એટલે ભેગા મળીને લૂંટ કરવાની વૃત્તિવાળા થઈ જાય. અને આવું જ થયું. એટલે રાજગોપાલાચારી જેવા કોંગ્રેસની સામે પડ્યા. જેઓ સામે પડ્યા તેઓને બદનામ કરવામાં આવ્યા. જો કે આ કોઈપણ ઔદ્યોગીકરણના વિરોધી ન હતા.
ગાંધીવાદીઓ વિરોધી હતા ખરા પણ તેઓની આ પ્રાથમિકતા ન હતી. તેઓ લોકસેવામાં પડી ગયા. અને નહેરુને ટાઢા પાણીએ ખસ ગઈ.
નહેરુને કોઈ નિશ્ચિત વિચારધારા ન હતી તેથી તેમના કોઈ વૈચારિક શિષ્યોનો ફાલ ઉત્પન્ન ન થયો. નહેરુને એવી જરુર પણ લાગી નહીં હોય એવું જ લાગે છે. નહેરુએ ફક્ત એ વાતનો ખ્યાલ રાખ્યો કે તેમની પુત્રી જ તેમનો રાજકીય વારસો લે.
ઈન્દીરા ગાંધી તેમના કહેવા પ્રમાણે સમાજવાદમાં માનતાં હતા. પણ તેમને માટે સમાજવાદનું નામ “ સત્તા પ્રાપ્ત કરવાનું અને ટકાવી રાખવાનું એક સાધન હતું. બેંકોના રાષ્ટ્રીયકરણને લેબર યુનીયનોને પોતાના પક્ષ માટે વોટ બેંક બનાવવાનું હથીયાર બનાવવામાં આવ્યું. ઈન્દીરા ગાંધીએ  પોતાના વિરોધીઓને બદનામ કરાવી પક્ષમાંથી દૂર કર્યા.
જો તમે લોકશાહીમાં માનતા હો તો પ્રતિસ્પર્ધીઓને દૂર કરવાની જરુર નથી. પણ જો તમે સરમુખત્યાર હો તો પ્રતિસ્પર્ધીને દૂર કરો જ કરો.
વી. પી. સીંગ, હેમવતીનંદન બહુગુણા નો શું વાંક હતો? એમનો એ વાંક હતો કે તેઓ પોતાના કામની ક્રેડીટ લેતા હતા. તેમની સામે ઈન્દીરા ગાંધીને સૈદ્ધાંતિક શું વાંધો હતો, તે ઈન્દીરા ગાંધી તરફથી જાણવા મળ્યો નથી. કે બીજા કોઈ તરફથી પણ જાણવા મળ્યો નથી.
ઈન્દીરા ગાંધી કંઈ એટલા કાબેલ વહીવટ કર્તા ન હતા. એવું પણ ન હતું કે બીજા નેતાઓ તેમનાથી કાબેલીયતમાં હજાર માઈલ પાછળ હતા. વાસ્તવમાં બહુગુણા, જગજીવનરામ, વીપી સીંગ વધુ કાબેલ હતા. આ સૌ કોઈ ઈન્દીરા ગાંધીની પ્રોડક્ટ પણ ન હતા. તેઓ સ્વબળે જ આગળ આવેલા.
ઈન્દીરાગાંધી કોઈ વૈચારિક વ્યક્તિ ન હતાં. તેમના કોઈ અનુયાયીને તેના વિચારોથી જોઈને તમે એમ ન કહી શકો કે તે ઈન્દીરા ગાંધીમાં જરુર શ્રદ્ધા ધરાવતો હશે. જેમકે ભજનલાલ, ચરણસીંગ, મુલાયમ, શરદપવાર, લાલુ યાદવ, માયાવતી, જયલલિતા, મમતા બેનર્જી, બંસીલાલ, જેવા અનેક નેતાઓ ક્યારે ક્યાં હશે તે તમે તેમના દ્વારા વ્યક્ત થતા વિચારોના આધારે કહી ન શકો. જોકે સત્તા હાંસલ કરવા માટે અને તેને ટકાવી રાખવા તેમની કાર્યશૈલીઓ ઈન્દીરા ગાંધી જેવી જ રહી છે છતાં પણ.
સ્વામીનારાયણની એક બોધકથામાં “સત્સંગના મહિમા”ની એક વાર્તા આવે છે જે આપણે અગાઉ ઈન્દીરાઈ કટોકટી ના એક લેખમાં જાણી છે. આ એ વાત છે કે નારદ મૂનીના સત્સંગને કારણે એક કીટક ઈન્દ્ર સુધીની ઉન્નતી કરે છે.
આનાથી ઉંધો કુસંગનો મહિમા છે જેમાં આવડતવાળો નિકમ્મો થઈ જાય. ઈન્દીરાના કુસંગનો મહિમા એવો રહ્યો કે આવડતવાળા મનુભાઈ શાહ, હિતેન્દ્ર દેસાઈ, જગજીવનરામ, વીપી સીંગ, બહુગુણા, ચિમનભાઈ પટેલ, મોહન ધારીયા, ચંદ્રશેખર જેવા અનેક ઈન્દીરાઈ કોંગ્રેસમાં રહ્યા અને બદનામ થયા. તેઓ ત્યારે જ સ્ટેપ અપ થઈ શક્યા જ્યારે તેઓ ઇન્દીરાઈ કોંગ્રેસની બહાર નિકળ્યા.
નરેન્દ્ર મોદી વિષે શું છે?
નેતા જ્યારે પોતાના સાથીઓ કરતાં શક્તિમાં હજાર માઈલ આગળ હોય ત્યારે શું થાય?
જ્યારે નેતાની વિચાર શક્તિ અને આચારની વ્યુહ રચના પોતાના અનુયાયીઓથી અનેક ગણી વધુ હોય તો અનુયાયીઓ હમેશા તેના ઉપર નિર્ભર રહે છે. અનુયાયીઓ પોતાના નેતા ઉપર નિર્ભર રહેતા હોય તો તે નેતા વિષે તે સરમૂખત્યાર છે તેમ ન કહેવાય. દરેક નેતા જો તે સિદ્ધાંતવાદી હોય તો પોતાનાથી અલગ સિદ્ધાંતવાળાને પોતાના જુથમાંથી દૂર કરે ને કરે જ.
નરેન્દ્ર મોદી સેલ્ફ મેઈડ છે. તેઓ સમાજસેવા માટે કટી બદ્ધ છે તેમ કહે છે. આ નેતા તેની આર્ષદૃષ્ટિમાં, વહીવટી આવડતમાં, વિચારોમાં અને જ્ઞાનમાં તેના સાથીઓથી હજાર માઈલ આગળ છે. તેથી તેના સાથીઓ નરેન્દ્ર મોદી ઉપર નિર્ભર રહે તો તેને નરેન્દ્ર મોદીને સરમુખત્યાર ન કહી શકાય. નરેન્દ્ર મોદી તેના સાથીઓની આવડત વધારે, પણ નરેન્દ્ર મોદી બધાને પોતાના જેટલી આવડતવાળા બનાવી ન શકે. ગાંધીજીએ મીની ગાંધીજીઓ ઉત્પન્ન કરેલા પણ સૌ કોઈ ગાંધીજીની કક્ષામાં આવે એટલી આવડતવાળા થઈ શક્યા ન હતા. નેતા દીશા બતાવી શકે અને પ્રણાલીઓ સ્થાપી શકે. આવડત તો સૌ પોતાની શક્તિ પ્રમાણે જ વધારી શકે.
નરેન્દ્ર મોદીએ તેના કેટલાક સાથીઓને વૈચારિક રીતે સ્ટેપ અપ જરુર કર્યા છે. તે તો તમે વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે જાણી શકો છો. નરેન્દ્ર મોદીએ નવી પ્રણાલીઓ પણ સ્થાપી છે. ઓન લાઈન ઘણી બધી જાણકારીઓ તમે મેળવી શકો છો અને સંવાદ પણ કરી શકો છો. સુધારાઓ માટે અવકાશ તો હમેશાં રહેવાનો. અને હજુ ઘણું કરવાનું બાકી છે.
સમાજને પણ સ્ટેપ અપ કરવો જરુરી હોય છે. નરેન્દ્ર મોદીએ જનતાની આકાંક્ષાઓ જગાવી છે. ટીવી ચેનલો પણ આમાં અગત્યનો ભાગ ભજવે છે. નરેન્દ્ર મોદીએ કદી ચેનલો ઉપર વેરભાવ રાખ્યો નથી.
બધા રાજ્યોમાં નેતાઓનું વલણ સહનશીલ નથી. આ વાત મહારાષ્ટ્ર, આંધ્ર, તામીલનાડુ, યુપી, પશ્ચિમ બંગાળ અને આસામ ની સરાકારોએ સિદ્ધ કરી છે. તેનું કારણ કેન્દ્રની નહેરુવીયન કોંગ્રેસી સરકાર અને તેના અને તેના સાથીઓના વિવાદાસ્પદ વિદેશી બેંકોમાં રહેલા લાલ-કાળા નાણા ભાગબટાઈ પણ હોઈ શકે. એટીએમમાંથી બનાવટી કરન્સી નોટો નિકળે એ વાત જ, ઘણું બધું કહી જાય છે.
શું નરેન્દ્ર મોદીએ મીની-નરેન્દ્ર મોદીઓ ઉત્પન્ન કર્યા છે?
જો નેતા, એક વખત દરેક બાબતની પ્રણાલી સ્થાપી દે પછી કોઈ પણ વ્યક્તિ તેને ચલાવી શકે. હા, દરેક વ્યક્તિ મોદીની કાર્બન કોપી કે મીની-નરેન્દ્ર મોદી ન થઈ શકે.
નરેન્દ્ર મોદીના સુદ્ધાંતો શું છે?
આમ તો શંકરાચાર્યના અદ્વૈતવાદ પ્રમાણે સાચો આનંદ જ્ઞાનવડે મળતો આનંદ છે. ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાનપ્રાપ્તિ માટે થાય એ વાત શ્રેષ્ઠ છે. પણ મુડીવાદની આડપેદાશ સુખ સગવડોની વૃદ્ધિ, તેવી વૃત્તિનું બેફામ પોષણ  અને બધા ક્ષેત્રમાં અસમાનતા, આમ છે. તમે કોઈ પણ વાદવાળા સમાજને રાતોરાત બદલી ન શકો. જો બદલવા જાઓ તો ફેંકાઈ જાવ. વાદને બદલવા માટે સમાજની માનસિકતા બદલવી પડે છે. આમ કરવામાં બે ત્રણ પેઢીઓ પસાર થઈ જાય.
એક વાત નરેન્દ્ર મોદી સ્થાપિત કરી શક્યા છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રણાલીઓ બદલી શકાય છે. પ્રણાલીઓનો અમલ કરવામાં અને તેને વધુ સારી કરવા માટે જ્ઞાનમાં વૃદ્ધિ કરવી જોઇએ. શિક્ષણ દ્વારા જ્ઞાનમાં પ્રગતિ થઈ શકે.
ટેક્નોલોજીના વિકાસ માટે માળખાકીય સગવડોમાં વિકાસ કરવો જોઇએ. માળખાકીય સગવડો દ્વારા તમે બધા ક્ષેત્રોમાં વિકાસ કરી શકો.
માળખાકીય સગવડોમાં રસ્તા, શક્તિ (વીજળી અને યંત્ર શક્તિ) અને પાણી આવે. શક્તિ ઉત્પન્ન કરવામાં પર્યાવરણ (ખાસ કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ) નો ખ્યાલ રાખવો પડે. એટલે પ્રાકૃતિક શક્તિઓના ક્ષેત્રમાં સંશોધનો થાય તે ઈચ્છનીય બને છે. સૂર્ય, પવન અને જળપ્રવાહમાંથી જ આ કામ થઈ શકે.
નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે.
જનતાની સામેલગીરીઃ
નરેન્દ્ર મોદી આ દિશામાં ઠીક ઠીક પ્રયત્નો કરે છે પણ તેના વિરોધીઓ તેને ખોટા ખર્ચામાં ખપાવે છે.
નરેન્દ્ર મોદીનો સ્વભાવઃ
નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેને એડામેન્ટ, એરોગન્ટ અને આત્મશ્લાઘી કહે છે. આપણા માનનીય કાન્તિભાઈ ભટ્ટ ભાઈએ નરેન્દ્ર મોદીની પીએમ પદની લાયકાત વિષે આ વાંધો બતાવ્યો છે.
જો નેતા પોતાની માન્યતાઓમાં સ્પષ્ટ હોય ત્યારે તે દૃઢ નિશ્ચયી હોય છે. જો નેતાની માન્યતાઓ નેતાએ બધી બાજુનું વિચારીને આત્મસાત કરી હોય અને તેના સાથીઓએ અને અથવા વિરોધીઓએ પૂરતો અભ્યાસ ન કર્યો હોય અને કરવા માગતા પણ ન હોય તો તેઓ આ નેતાને એડામેન્ટ માનવાના જ.
જો કોઈ નેતાની પરિસ્થિતિને સમજ્યા વગર અને પોતાના રાજકીય લાભ માટે જ તે નેતાને  બદનામ કરવા માટે યમરાજ, મૌતકા સોદાગર, ખૂની એવા વિશેષણોથી નવાજે અને અથવા જુદા જુદા માપદંડ અપનાવે તો તે નેતાએ સત્યના બચાવ માટે તેના વિરોધીઓને તેમણે ધારણ કરેલા લેવલને અનુરુપ જવાબ આપવો જોઇએ. આ વાત જેટલી નરેન્દ્ર મોદીને લાગુ પડે છે તેટલી જ સરદાર પટેલને લાગુ પડતી હતી. એટલે જે મીડીયા મૂર્ધન્યોએ સરદાર પટેલને તેમના આખાબોલા-પણા માટે વગોવ્યા હોય તેમને જ નરેન્દ્ર મોદીને વગોવવા માટે આવો અધિકાર મળેછે.
એક વાત સૌ કોઈ મીડીયા મૂર્ધન્યોએ અને બુદ્ધિજીવીઓએ ખાસ સમજવાની છે કે મોદી પી.એમ. બને તે વાત ક્યાંથી ઉત્પન્ન થઈ છે?
નરેન્દ્ર મોદીએ કદી આવી ઈચ્છા વ્યક્ત કરી નથી. નરેન્દ્ર મોદીએ કદીય મુખ્યમંત્રી બનવાની પણ ઈચ્છા વ્યક્ત કરી ન હતી. મુખ્યમંત્રી તરીકે તેમની વરણી થઈ તે પૂર્વે મુખ્ય મંત્રી બનવા માટે નરેન્દ્ર મોદી, અંદરખાને દોરીઓ હલાવે છે તેવી અફવા પણ આપણા મીડીયા મૂર્ધન્યો ફેલાવી શક્યા ન હતા.
નરેન્દ્ર મોદી ચાની કીટલી ફેરવવા જેવા સાદા કામોથી શરુ કરી, ઘરબારનો ત્યાગ કરી, હિમાલય રખડી, બાવાઓનો સહવાસ ભોગવી, ગરીબી ભોગવી જાણનારા, બહુશ્રુત, ક્ષેત્રજ્ઞ, કુટુંબની જંજાળથી મુક્ત એવા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે બન્યા છે.
આવી પાર્શ્વ ભૂમિકાવાળા નેતા વિષે જ્યારે આપણો એક ગુજ્જુ અખબારનવીશ પણ જ્યારે એમ કહે કે નરેન્દ્ર મોદી મેગ્નેનીમસ (દરિયાદિલ) નથી એવો વિવાદ ઉત્પન્ન કરે. એટલું જ નહીં પણ જાણે કે દરિયા દિલ એકમાત્ર વડાપ્રધાનપદ માટેની લાયકાત છે એવું ઠસાવવા કોશિસ કરે ત્યારે  આપણા મૂર્ધન્યોની તર્ક બુદ્ધિની આપણને  શરમ આવે છે. ફલાણો કેટલો બધો દરિયાદીલ હતો. અને ફલાણા નાટકમાં આ પાત્રે ફલાણા હિરો દ્વારા કેવો ઉત્કૃષ્ટ અભિનય આપીને તેની દરિયાદિલી સિદ્ધ કરી બતાવેલી. આવું વર્ણન કરીને આ મૂર્ધન્ય શ્રીએ એ સિદ્ધકરવાનો પ્રયત્ન કર્યો કે નરેન્દ્રભાઈ દરિયાદિલ નથી. દશરથને ચાર પત્નીઓ હતી માટે તમે વાંઢા છો. એના જેવી આ વાત છે.
કટારીયા ભાઈએ આમ તો જોકે દાખલો સિકંદરનો આપેલો છે. જોકે સિકંદર કેટલો દરિયા દિલ હતો એ આખી બાબત વિવાદાસ્પદ છે. સિકંદર પોરસને જીતેલો કે કેમ તે પણ વિવાદાસ્પદ છે. કારણકે એક વિવાદ એવો પણ છે કે સિકંદર એટલો નબળી કક્ષાએ પહોંચી ગયેલ કે તેના બધી ઋતુઓમાં યુદ્ધ કરવાને કાબેલ એવું સૈન્યને માભોમ યાદ આવી ગયેલી. સિકંદરે અગાઉના હરાવેલા રાજાઓ સાથે જ નહીં પણ તેમની પ્રજા સાથે પણ ક્રૂર વર્તાવ કરેલ. એટલે સિકંદર દરિયાદિલ હતો તે વાત શંકાસ્પદ છે. પણ ધારો  સિકંદર દરિયા દિલ હતો. એટલે આપણા નરેન્દ્રભાઈ દરિયાદિલ નથી. નેલ્સન મંડેલા દરિયા દિલ હતા, એટલે નરેન્દ્ર મોદી દરિયા દિલ નથી. સાધ્યં ઈતિ સિદ્ધમ્‌. આવું જો કોઈ મૂર્ધન્ય કહે તો તેની મૂર્ધન્યતા ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય. જો કે આ મૂર્ધન્ય કટારીભાઈએ કશી માહિતિ આપી નથી કે ક્યાં આપણા નરેન્દ્રભાઈ ઉણા પડ્યા. જો તેમણે આ માહિતિ ઉજાગર કરી હોત તો વાચકોના અને મોદીભાઈના જ્ઞાનમાં વૃદ્ધિ થાત અને મોદી ભાઈને સુધરવાના ચાન્સ રહેત. સુધારવાનો ચાન્સ આપવો એતો લોકશાહીનો મુખ્ય આડગુણધર્મ છે.
નરેન્દ્રભાઈને હવે “ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉબકા આવ્યા છે…” નરેન્દ્ર મોદી, રાહુલની નીમ્ન સ્તરે જઈને ટીકા કરે છે. આવું પણ આપણા આ અખબારી કટારીયા મૂર્ધન્ય કહે છે. જોકે આ કટારીયા મૂર્ધન્ય, વિગતો આપવામાં માનતા નથી. તેમની વાતો અને તર્ક આપણે રજનીશની વાતો અને તર્ક સાથે સરખાવી શકીએ. રજનીશને તારણો કાઢવાની ટેવ હતી પણ તેમના તારણો પછી ભલે તે રાજકીય નેતાઓ સામે હોય કે કોઈ મહાન વિભૂતિ વિષે હોય, કે માનસશાસ્ત્રીય હોય, પણ તે સર્વ તારતમ્યો એ સત્ય અને સત્યમાત્ર છે. આ સત્ય કેવી રીતે છે તે વાચકોએ સિદ્ધ કરવાનું. “જેમકે બોલવાથી મુક્તિ મળે છે” અને મૂર્ધન્યોને સિદ્ધ કરવામાંથી મુક્તિ મળે છે.
આપણા દેશને ચાણક્યની જરુર છે, પૃથ્વીરાજ ચૌહાણની નહીં.
નરેન્દ્ર મોદીએ શું દરિયાદિલ રાખ્યું નથી. જોકે મારા જેવા તો એવું જ માને છે કે દેશને સુધારવો હશે તો નેતાએ ચાણક્ય જેવા થવું પડશે. પૃથ્વીરાજ જેવા થયે નહીં ચાલે. જેઓ ઈતિહાસને ભૂલે છે તેઓ ઈતિહાસનું પુનરાવર્તન કરે છે. કર્મના ફળ ભોગવવા એ ઈશ્વરીય વ્યવસ્થા છે.
એક વખત નરેન્દ્ર મોદીએ કહેલ પણ ખરું કે જો હું ધારું તો આ બધા કોંગી નેતાઓ ઉપર કામ ચલાવી શકું કારણ કે તેમણે તેમના ગુજરાત ઉપરના ૨૨ વર્ષના શાસનમાં અનેક કાળાંધોળાં કર્યાં છે.
નરેન્દ્ર મોદીની આ વાતને તમે શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસની વરીષ્ઠ નેત્રીએ ખેલદીલી પૂર્વક પદત્યાગ કરવાને બદલે  પોતાના વિરોધીઓને વગરવાંકે અનિયત કાળપર્યંત જેલમાં પૂરેલ, વી.પી. સીંગ સામે સેન્ટ કીટનો બનાવટી કેસ ઉભો કરેલ આને આપણા કટારીયા મૂર્ધન્ય શું ખેલદીલીમાં ખપાવશે?
અત્યારે પણ જુઓ. નરેન્દ્ર મોદીને  વિષે જો તમે માહિતિ આપ્યા વગર તેની વિરુદ્ધમાં કંઈ પણ કહો તે અફવા જ કહેવાય. જ્યારે અમિત શાહની ધરપકડની બાબતમાં, સંજય જોષીની સીડીની બાબતમાં, બીજેપીના ભૂતપૂર્વ પ્રમુખની સામે આક્ષેપોની બાબત કે એવી કોઈપણ બાબત હોય જેમાં કોઈ પદચ્યુત થતું હોય તો તેમાં નરેન્દ્ર મોદીની તથાકથિત સંડોવણીની વાત ચગાવવામાં આવે છે. જો કે માહિતીને નામે શૂન્ય હોય છે.  આવી અફવાઓ ફેલાવનારા સામે નરેન્દ્ર મોદી ખેલદીલી રાખે જ છે ને! આવી બાબતોને નેતાએ લક્ષમાં રાખવી જોઇએ કે નહીં તે વિવાદનો વિષય છે. પણ ચોક્કસ “હાથી પાછળ કુતરાં ભસે પણ હાથી તેની ચાલે આગળ ચાલ્યા જ કરે છે. આ બાબતમાં નરેન્દ્ર મોદીએ તાદાત્મ્ય સાધ્યું છે. આ વાત કદાચ કેટલાક મૂર્ધન્યોને કઠતી હોય તેવું બની શકે. ધારોકે નરેન્દ્ર મોદી પીએમ બને તો અમિત શાહ સવાયા નરેન્દ્ર મોદી બનીને કામ કરી શકે છે તે પણ એક કારણ છે. જનતા તો એજ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં અને અમિત શાહ ગુજરાતમાં ચાણક્ય બને.
નરેન્દ્ર મોદીને કોણ પૂરસ્કૃત કરે છે?
આંખે ઉડીને વળગે એવી વાત છે કે કોંગી નેતાઓ અને અખબારી મૂર્ધન્યો રાહુલ ગાંધીને પી.એમ. પદના ઉમેદવાર તરીકે પુરસ્કૃત કરે છે. તેથી સાવ જ ઉંધી વાત નરેન્દ્ર મોદી વિષે છે. ભારતીય જનતા જ નરેન્દ્ર મોદીને પી.એમ. તરીકે પુરસ્કૃત કરે છે. બીજેપી, એનડીએ કે રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીને પી.એમ. પદ માટે પુરસ્કૃત કરતા નથી.
જનતા માટે મોદી એકમાત્ર હોટ ફેવરીટ છે તે વાત આ અખબારી અને રાજકીય ખેરખાંઓ અચૂક છૂપાવે છે અને તેથી જ જનતાના અવાજને દબાવવા માટે નરેન્દ્ર મોદી વિષે જ અવળો પ્રચાર કરે છે.
આવા અનેક દુષણો સામે ટકી રહેવું અને આગળ વધવું એજ ઉત્કૃષ્ટ નેતાનું લક્ષણ છે.    
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, નહેરુ, ઈન્દીરા, નરેન્દ્ર મોદી, પી.એમ., નેતાગીરી, વૈચારિક, પ્રણાલી, વિકાસ, મીડીયા મૂર્ધન્યો, કટારીયા, હોટ ફેવરીટ, બીજેપી, એનડીએ, દરિયાદિલ, કૌટિલ્ય, પૃથ્વીરાજ ચૌહાણ