20120913

મંગળ પર જીવસૃષ્ટિ લેખાંક ઃ ૩


- મંગળ પર જીવનની શોધ કરતા નાસાના મહાન વૈજ્ઞાાનિક ગિલબર્ટ લેવિન મંગળ માટે પાગલ જેવા થઈ ગયા છે
- આવતા વર્ષે રૃપિયા ૪,૫૦,૦૦,૦૦,૦૦૦ના ખર્ચે આપણો દેશ ભારત પણ મંગળ ઉપર વાહન મોકલશે જેની તૈયારી અમદાવાદના ઈસરો અને પી.આર.એલ. પણ કરી રહ્યા છે


અમેરિકાના અવકાશી વિજ્ઞાાનના પ્રયોગોની સંસ્થા ''નાસા''એ મંગળ પર જીવન હોવાની શક્યતાને મજબૂત કરવા હમણાં ''ક્યોરિયોસીટી'' નામનું રોબોટ રોવર મંગળ પર ઉતાર્યું કે તરત જ એ કામ કરતું પણ થઈ ગયું છે. આ વાહન એટલે હરતીફરતી લેબોરેટરી જ છે.
આ પહેલાં ૩૬ વર્ષ પહેલાં નાસાએ મંગળ ઉપર સંશોધન માટે વાઈકીંગ-૧ અને વાઈકીંગ-૨ ઉતાર્યા હતા. એ વાઈકીંગ-૨ એ પોતાના રોબોટીક હાથોથી મંગળની ધરતી પરની માટી ઉપાડીને અંદરની ટેસ્ટ ચેમ્બરમાં રાખેલા કાર્બન-૧૪ ન્યુટ્રીએન્ટસ સાથે જોડેલું જે ત્યાંથી લગભગ ૫,૦૦,૦૦૦ કરોડ કીલોમીટર દૂર નાસામાં બેઠેલી વૈજ્ઞાાનિકોની ટુકડી જોઈ રહી હતી.
એ ટુકડીમાં આજના એક મહાન વૈજ્ઞાાનિક ગિલાર્ડ લેવિન પણ હતા. વાઈકીંગમાં રાખેલા પેલા હાથ જેવા કેટલાક સાધનો એમણે પોતાની ટીમ સાથે મળીને બનાવેલા. એટલે એમને વાઈકીંગમાં બધા કરતાં વધુ રસ હોય એ સ્વાભાવિક છે.
વાઈકીંગે એ માટીમાં જીવન જેના કારણ શક્ય બને છે એ કાર્બન, મિથેન જેવા રસાયણો હોવાનું જણાવ્યું એટલે લેવિને અને બીજા વૈજ્ઞાાનિકોએ નક્કી કર્યું કે આ રસાયણો બનાવનાર બેક્ટેરીયા મંગળ પર મોજુદ છે. બેક્ટેરીયા એટલે જીવ, જીવન.
લેવિન અને એમની ટીમ સફળતાની ક્ષણ માણી રહી હતી અને શેમ્પેન લઈને એનું ઢાંકણું ખોલી રહ્યા હતા ત્યાં બધાના ચહેરાના ભાવ બદલાય ગયા. વાઈકીંગ ઉપર કન્ટ્રોલ રાખનાર એ ખંડમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. વાઈકીંગ હવે બીજા સાધનોથી પરીક્ષણના પરિણામ મોકલી રહ્યું હતું. એ સાધનો પણ મંગળ પર કાર્બન કે બીજું કોઈ રસાયણ હોવાની તપાસ કરનાર સાધનો હતા. બધાને વિશ્વાસ બેસી ગયો હતો કે મંગળની માટીમાં મિથેન મળી આવતા કાર્બનિક રસાયણ પણ જરૃર મળી આવશે. એ મંગળ પર જીવન હોવાની સૌથી મજબૂત સાબિતી હશે.
પરંતુ વાઈકીંગના બીજા સાધનોએ કરેલા પરિક્ષણના પરિણામ નકારાત્મક હતા. એ સાધનો મંગળની માટીમાં કાર્બનિક રસાયણ શોધી શક્યા નહીં.
કાર્બન નહીં તો જીવન નહીં.
એ વખતના નાસાના વડાએ એ પછી જાહેરાત કરી દીધી કે, વાઈકીંગે મંગળની માટીની ચકાસણી કરી અને એમાં અમને જીવનના કોઈ અંશ કે નિશાન જણાયા નથી.
એનો અર્થ એવો થયો કે લેવિન અને એમની ટીમે જે મેળવેલું એ ખોટું હતું ?
આ વાતને ૩૬ વર્ષ થઈ ગયા. ૩૬ વર્ષ પછી પણ લેવિન એ માનવા તૈયાર નથી કે પોતાના સાધનોએ મેળવેલા પરિણામ ખોટા છે. વાઈકીંગ મીશનના એ પરિણામોએ એમની જિંદગી જ બદલી નાંખી. વાઈકીંગ ઉપર રાખેલા પોતે બનાવેલા સાધનોએ આપેલા પરિણામોને સાચા સાબિત કરવા અને દરેક પ્રસંગે પૂરા જોસથી એમ કહેવું કે મંગળ પર જીવનનું અસ્તિત્વ છે એ એમના જીવનનું લક્ષ્ય બની ગયું. લેવિનના એક પ્રકારના આ પાગલપણના કારણે વૈજ્ઞાાનિકોએ એ જીવનને ''ગિલેબિનિયા સ્ટ્રાટા'' રાખી દીધું છે. મંગળ ઉપર મિથેન બનાવનાર મંગળ ઉપરનો એક બેક્ટેરીયા છે એ ''ગિલેબિનિયા સ્ટ્રાટા'' કહેવાય છે. ગિલબર્ટ લેવિનને ખાત્રી છે કે મંગળ પર એ બેક્ટેરીયા છે પણ નાસાને હજી એની ખાત્રી કરવાની બાકી છે.
નાસાનું જે નવું ''મિશન ''ક્યુરિયોસીટી'' મંગળ ઉપર ઉતર્યા પછી લેવિન ફરી સક્રિય થઈ ગયા છે. તેઓ દરેક પ્રસંગ પર કહેવા લાગ્યા છે કે, ક્યુરિસીટી પેલા ૩૬ વર્ષ પહેલાંના પરિણામોને જ ફરી પુરવાર કરશે.
જો કે મંગળ ઉપર જીવન હોવાની શક્યતા જોનારા લેવિન એકલા નથી.
દા.ત. લોસ એન્જીલસની યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના બાયોલોજીસ્ટ યુનિવર્સિટી વાઈકીંગના જૂના પરિણામોનું વિશ્લેષણ ફરી કર્યું છે. તેઓ માને છે કે મંગળની માટીમાંથી નીકળતો મિથેન ગેસ ત્યા જીવન હોવા વિષે ઈશારો કરે છે. એનો એક જ અર્થ થઈ શકે છે કે મંગળ જીવંત છે.
લેવિન કહે છે કે, ''મંગળ પર અત્યાર સુધી નાસાએ જે પણ અભિયાન કર્યા છે એમાંના એક પણે વાઈકીંગના પ્રયોગના પરિણામને નકાર્યો નથી.''
વોશિંગ્ટનમાં કોર્નેગી ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સના વૈજ્ઞાાનિક રોબર્ટ હેજન કહે છે કે, ''લેવિનનો દાવો આધારહીન નથી. વાઈકીંગ મીશન પર એમના સાધનોએ જે પરિણામ આપ્યા એ ચોંકાવનારા છે. એને હજી સુધી સરખી રીતે સમજવાની કોશિષ પણ કરવામાં નથી આવી. વાઈકીંગ અભિયાન પહેલાં અને હજી પણ આપણે આપણું ભોજન પચાવનાર કાર્બનિક જીવનને જ જીવન સમજી શોધ કરી રહ્યા છીએ જ્યારે બની શકે છે કે જીવનનું અકાર્બનિક રૃપ પણ હોય શકે છે.''
આ કડાકુટ વચ્ચે આપણા વડાપ્રધાન મનમોહન સિંહે ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરેલી કે આવતા વર્ષે નવેમ્બરમાં આપણે પણ લાલગ્રહ (મંગળ)નો અભ્યાસ કરવા માટેના અભિયાનના શ્રીગણેશ કરવાના છીએ.
આપણું આ અભિયાન કુલ ૪,૫૦,૦૦,૦૦,૦૦૦ રૃપિયાનું હશે જેમાંથી આ વખતે ૧,૨૫,૦૦,૦૦,૦૦૦ રૃપિયા ઈસરોને ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે.
આપણા આ અભિયાનમાં મંગળની ઋતુઓ, હવામાન, જીવનની શક્યતા, ભૌગોલિક રચના, એની ઉત્પત્તિ અને વિકાસ, જીવનનું પોષણ કરવાની ક્ષમતા વગેરે વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ અભિયાનથી આપણો દેશ દુનિયાના એવા દેશોમાં આવી જશે કે જે ૫.૫ કરોડ કી.મી. સુધી પોતાનું યાન મોકલી શકે છે. અત્યાર સુધી આપણા દેશના ચન્દ્રાયને ૪ લાખ કી.મી.નો જ પ્રવાસ કરેલો છે.
ઈસરોના પ્રમુખ ડો. રાધાકૃષ્ણન અમેરિકા જેવા વિકસિત દેશોના અવકાશી કાર્યક્રમોના અનુકરણની ટીકા કરવાને તર્ક સંગત નથી માનતા. તેઓ આવા પ્રયાસની સરખામણી દેડકા દ્વારા એક ઊંચી છલાંગ સાથે કરે છે.
અવકાશ વિજ્ઞાાન અને અવકાશી કાર્યક્રમો વિષે અમેરિકાનો ભલે જે કંઈ ઉદ્દેશ હોય પણ આપણો ઉદ્દેશ્ય સમાજોન્મુખ રહ્યો છે.
ડો. રાધાકૃષ્ણન કહે છે કે ૨૦૦૬માં વિસ્તૃત અભ્યાસ કર્યા પછી એવું નક્કી કરાયેલું કે... બે અવકાશ પ્રવાસીઓને પૃથ્વીથી ૩૦૦થી ૪૦૦ કી.મી. ઊંચે એક સાથે એક અઠવાડિયા સુધી રાખવાની ક્ષમતા ભારત વિકસિત કરશે. એ માટે પીએસએલબી યાનનો પ્રયોગ કરવામાં આવશે.
બીજી તરફ ચન્દ્રયાન-૨ને ચન્દ્રની સપાટી પર મોકલવાની તૈયારીઓ ચાલે છે. પરંતુ ભારતીય અવકાશ પ્રવાસીને અવકાશમાં મોકલવા માટે કોઈ પ્રકારના સમયના બંધનને તેઓ ઈન્કારે છે.
આવતા વર્ષે મંગળ અભિયાન માટે ઈસરોની સાથે અમદાવાદની સ્પેસ એપ્લીકેશન સેન્ટર અને ફીઝીકલ રિસર્ચ લેબોરેટરી, બંગલૂરનો ઈસરો સેટેલાઈટ સેન્ટર અને તિરુવનંતપુરમ્ના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર એ ચાર સંસ્થાઓ પણ કામ કરી રહી છે. આ બધી સંસ્થાઓ ભેગી મળીને ખાસ સાધનો વિકસાવવાનું કામ કરી રહી છે.
ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડો. યુ.આર. રાવ આ પ્રયોગ વિષે કહે છે કે મંગળનું હવામાન, એની ભૂગોળની રચના, પાણી અને ત્યાં મિથેન ગેસની હાજરી વિષે જાણવાનું આપણું મુખ્ય ધ્યેય રહેશે. ત્યાં મિથેન ગેસ મળી આવશે તો એનો ઉદ્ભવ ભૌગોલિક પ્રક્રિયાથી થયો છે કે જૈવિક પ્રક્રિયાથી એ જાણવામાં રસ વધી જશે. એમાં જો જૈવિક પ્રક્રિયાથી મિથેન ઉત્પન્ન થયાનું જણાશે તો મંગળ ઉપર જીવન હોવાની શક્યતા વધી જશે.
આપણે જ્યારે મંગળ પર યાન મોકલવાના છીએ ત્યારે એટલે નવેમ્બર ૨૦૧૩માં પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર વધુમાં વધુ ઓછું હોય છે એટલે કે ૫,૬૦,૦૦,૦૦૦ કી.મી. જે ૩૦૦ દિવસમાં માપી લેવાશે.
આપણે જો એ મોકો ચુકી જઈએ તો પછી ચાર વર્ષ સુધી રાહ જોવી પડે.
ડો. રાવનું કહેવું છે કે આપણા દેશે પણ અવકાશી કાર્યક્રમની અનિવાર્યતા સમજવી જોઈએ. તેઓ ચન્દ્રમા અને મંગળ ઉપર માનવના વસવાટને ભવિષ્યમાં અનિવાર્ય સમજે છે. અત્યારની ગળાકાપ સ્પર્ધામાં કોઈપણ દેશ આપણને પોતાની અવકાશ વિજ્ઞાાનની ટેકનીક નહીં બતાવે એટલે આપણે જાતેજ આપણી ક્ષમતા વિકસિત કરવી પડે તેમ છે.
ડો. રાવની આ ચોખવટનું કારણ આપણા સૌના મનમાં જે પ્રશ્ન છે એ છે કે... જ્યારે ભારતમાં, આપણા દેશમાં આટલો ભૂખમરો છે, આરોગ્યની સમસ્યા છે, અક્ષરજ્ઞાાનની સમસ્યા છે ત્યારે લગભગ અંધારામાં જે ૪૫૦ કરોડ રૃપિયા ફેંકી દેવામાં કેટલી બુધ્ધિમતા છે ?
અરે, બ્રિટનની સંસદમાં પણ આપણા વિરૃધ્ધ ઠરાવ આવેલો કે... જ્યારે ભારત મંગળગ્રહ માટે આટલી રકમ ખર્ચી શકે છે તો ભારતમાં કુપોષણ રોકવા માટે આપણે જે આર્થિક મદદ કરીએ છીએ એ બંધ કરવી જોઈએ.
જ્યારે ''એકસપ્લોર માર્સ'' નામની સંસ્થાના અર્તેનિસ વેસ્ટનવર્ગ નામના એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાાનિકે ભારતના આ અભિયાનને જોરદાર ટેકો આપતા કહ્યું છે કે મંગળ ઉપર યાન મોકલવાનો જે ખર્ચ છે એ કંઈ બહુ કમરતોડ નથી. આ ખર્ચનો રચનાત્મક ઉપયોગ કરીને એક આખી યુવાન પેઢીને વિજ્ઞાાન ભણી પ્રેરિત કરી શકાય છે.
અમેરિકાના પ્રમુખ ઓબામાએ પણ ક્યુરિયોસીટીએ મંગળ પર પગલાં પાડયા ત્યારે કહ્યું હતું કે... આ દ્વારા અમેરિકાના યુવાનો વિજ્ઞાાન ભણી વધુ રસપૂર્વક આગળ જશે.

- ગુણવંત છો. શાહ