| વિચાર વિહાર - યાસીન દલાલ |
| - ચાર્વાક પણ નીતિમાં માનતા હતા પણ નરકનો ભય બતાવવામાં માનતા નહોતા |
બીજું વિશ્વયુધ્ધ પૂરું થયું એ પછી સમગ્ર યુરોપ અને અમેરિકામાં પ્રચંડ નિરાશાનું મોજું ફરી વળેલું. બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન કરોડો લોકોના મૃત્યું થયા. મૃત્યુ પામનારમાં ધર્મગુરુઓ પણ હતા તથા નિર્દોષ મહિલાઓ અને બાળકો પણ હતા. સામાન્ય માણસના મનમાં પ્રશ્ન થયો કે આ કરોડો લોકોનો વાંક શું હતો ? જો ઈશ્વર હોય તો આવું ભીષણ યુધ્ધ અટકાવ્યું કેમ નહીં ? હિટલરને પેદા કેમ થવા દીધો. એણે લાખો નિર્દોષ યહુદીઓને ટ્રેઈનો અને બીજા વાહનોમાં બંધ કરીને ગેસ ચેમ્બરમાં લઈ ગયા અને ગુંગળાવીને મારી નાખ્યા. હિટલરને યહુદીઓ પ્રત્યે આટલો તિરસ્કાર કેમ હતો એ હજી સુધી રહસ્ય જ છે. એક માન્યતા એવી છે કે પ્રથમ વિશ્વયુધ્ધમાં જર્મની યહુદી સૈનિકોને કારણે હાર્યુ એમ એ માનતો હતો. બીજી માન્યતા એવી છે કે હિટલરનો ઉછેર ઓસ્ટ્રીયામાં થયેલો. ત્યાં બેકારીમાં એ ખૂબ રખડયો. ઓસ્ટ્રીયાની બહુમતી યહુદીઓની છે પણ કોઈ યહુદીએ એને કામ ન આપ્યું. પણ આ બંને માત્ર અનુમાન છે. હિટલરે છેવટે આત્મહત્યા કરી લીધી એ જુદી વાત છે. પણ આ એક વ્યક્તિએ આખી દુનિયાને મોતના મુખમાં ધકેલી દીધી અને સમગ્ર યુરોપને ખળભળાવી દીધું. અનેક દેશો ઉપર હુમલા કર્યા અંતે રશિયામાં એ હાર્યો. આ સમગ્ર ઘટનાક્રમથી યુરોપના બૌધ્ધિકોમાં વિચારણા શરૃ થઈ કે દુનિયામાં આવું કેમ થાય છે ? માર્કસ અને એન્જલ્સ તથા નિત્સે જેવા વિચારકો આ નવ જાગરણના નેતા હતા. માર્કસે કહ્યું કે ધર્મ એ માણસને પાવામાં આવેલું અફીણ છે. એણે હાઈડલ બર્ગની લાયબ્રેરીમાં ૪૦ વરસ ગાળીને દુનિયાભરનું સાહિત્ય વાંચી નાંખ્યું અને એ પછી આ નતીજા ઉપર પહોંચ્યો. એણે 'દાસ કેપીટલ' નામે ગ્રંથ લખ્યો કે જે સામ્યવાદીઓનું બાઈબલ ગણાય છે. નિત્સે પણ જોરદાર વિચારક હતો. એણે એક દિવસ પેરિસના દૈનિક 'લા ફિગારો'માં અડધા પાનાની જાહેરખબર આપી જેનું શિર્ષક હતું ''ઈશ્વરનું અવસાન થયું છે. આ જગ્યાએ અને આ સમયે એનું ઉઠમણું રાખ્યું છે.'' એ જગ્યાએ અને એ સમયે પચાસ હજાર માણસો ઉમટી પડયા ત્યાં નિત્સેએ લાંબુ પ્રવચન આપ્યું. જેમાં એણે કેટલાક પ્રશ્નો પૂછ્યા. દા.ત. જો ઈશ્વર હોય તો કરોડો માણસો યુધ્ધમાં માર્યા ગયા ત્યારે ઈશ્વર ક્યાં હતો ? યુધ્ધમાં લાખો અને કરોડો મહિલાઓ, વૃધ્ધો અને બાળકો પણ માર્યા ગયા, એમનો વાંક શું હતો ? આ બધા લોકો મરી ગયા એમના કુટુંબીજનો નિરાધાર થઈ ગયા એનું શું ? ઈશ્વર હોય તો આવા સત્તા ભૂખ્યા અને માનવતાના દુશ્મન નેતાઓને પેદા શા માટે કરે છે ? યુરોપમાં સંખ્યાબંધ ચર્ચ છે અને સંખ્યાબંધ પાદરીઓ છે. એ લોકો દરરોજ મોટી સંખ્યામાં પોતાના અનુયાયીઓ સાથ માણસજાતના કલ્યાણની પ્રાર્થનાઓ કરે છે તો આ ચર્ચનો અવાજ હિટલર અને મુસોલિનીના અવાજ નીચે દબાઈ કેમ ગયો ? અત્યાર સુધી લોકો એમ માનતા હતા કે પરમકૃપાળું પ્રભુ દરેક પ્રકારની મુસીબતમાંથી બચાવે છે તો આવી ભયાનક હોનારત થઈ અને કરોડો લોકોએ જાન ગુમાવવા પડયા અને બર્લિન, રોમ તેમ સંખ્યાબંધ શહેરોની ઈમારતો બોંબમારાને કારણે નષ્ટ થઈ ગઈ અથવા એ ઈમારતોમાં બાકોરા તથા તિરાડો પડવાને કારણે રહેવા લાયક રહી જ નહીં એનું શું ? દુનિયાના કરોડો લોકો ગરીબ છે એ શા માટે ? ગરીબ અમીરના ભેદ ધર્મ દ્વારા ચિત્ર-વિચિત્ર દલીલો કરીને યોગ્ય શા માટે ઠેરવવામાં આવે છે ? જેવા જેના નસીબ લાયકાતવાળો હોય છતાં તે ગરીબ અને બેરોજગાર શા માટે રહે છે ? જન્મ અને પુનઃજન્મ એ ધર્માચારીઓએ રચી કાઢેલી દંતકથાઓ છે પણ ઈશ્વરના નામે એને ઠોકી બેસાડવામાં આવી છે. આ વિચારકોએ પ્રવચનો તથા લેખો અને પુસ્તકોના કારણે સમગ્ર યુરોપમાં નવો વિચાર પેદા થયો એમાં ક્રોઈડે સેક્સ અને જાતીયતા વિશે તદ્ન નવી વિચારસરણી આપી. આ બધાને લીધે યુરોપની પ્રજામાં વૈચારિક ખળભળાટ શરૃ થયો અને લોકો વૈજ્ઞાાનિક અભિગમ તથા રેશનાલીઝમ તરફ વળ્યા. જો કે દુનિયાનો પહેલો નાસ્તિક ભારતે આપ્યો છે. વૈદિકકળામાં ચાર્વાક નામના એક ઋષિ થઈ ગયા જેણે એ સમયે જે વિચારો આપ્યા એ તદ્ન નવા હતા. દા.ત. એણે આધ્યાત્મિકતાનો વિરોધ કરીને કહ્યું કે ''ઋણં કૃતવા, પિબેત ધૃતમ'' એટલે કે કરજ કરીને પણ ઘી ખાઓ. આ શબ્દોનો વાચ્યાર્થ એવો છે કે જીવન માણવા માટે છે. આપણે ત્યાં નવ દર્શન પ્રસિધ્ધ છે. ન્યાયદર્શન, વૈશેષિકદર્શન, યોગદર્શન, સાંખ્યદર્શન, વેદાંતદર્શન, મિમાંસાદર્શન, ચાર્વાકદર્શન, બૌધ્ધદર્શન અને જૈનદર્શન. આમાંથી પ્રથમ છ દર્શન આસ્તિકતા સાથે સંકળાયેલા છે. બાકીના ત્રણ દર્શન નાસ્તિક વિચારધારા ધરાવે છે. માધવાચાર્ય રચિત 'સર્વ દર્શન સંગ્રહ'માંથી આ વિશે વધુ જાણવા મળે છે. આ સંગ્રહમાં ચાર્વાકની વિચારધારા આઠ પાનામાં આપેલી છે. જો કે મહર્ષિ દયાનંદ સરસ્વતીના ''સત્યાર્થ પ્રકાશ''માં પણ ચાર્વાકની ફિલસુફી સાંકળી લેવામાં આવી છે. વેદોમાં એવી માન્યતા છે કે જગતમાં ત્રણ અનાદિ તત્વો છે. ઈશ્વર, જીવાત્મા અને પ્રકૃતિ. તેનો આદિ કે અંત નથી તેમ ઉત્પતિ કે વિનાશ નથી. આથી વિપરીત ચાર્વાક મુનિ પ્રકૃતિને જ અનાદિ તત્વ માને છે. તે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતું જ નથી અને કહે છે કે આત્માનો સંબંધ શરીર સાથે જ છે. જન્મ પહેલા અને મૃત્યુ પછી તેનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. દર્શન એટલે વિચારધારા. પશ્ચિમના દેશોમાં જે ધર્મો ફેલાયા તેના ધર્માચાર્યો અહીંના ઋષિમુનિઓ જેટલી ઉદારમતવાદી નહોતા. ત્યાં સ્પીનોઝા જેવા સુધારકોને બાળી નાંખવામાં આવ્યા. ગેલીલિયોની આંખો ફોડી નાંખવામાં આવી. એમના વિચારો ધાર્મિક પુસ્તકો સાથે મેળ ખાતા નહોતા. કારણ કે ત્યાંનો ધર્મ દર્શન વગરનો છે અને બુધ્ધીની વાત સહી શકતો નથી. જ્યારે આપણે ત્યાં હજારો વરસો પહેલા ચાર્વાક જેવા ઋષિ નવી વાત લઈને આવ્યા, પણ એમને કોઈ મુશ્કેલી પડી નહીં. બલ્કે એક નાસ્તિકને પણ આપણે ઋષિ માન્યા. એમનું ચિંતન કેટલાક અંશે જરૃરી પણ છે. કોરી આધ્યાત્મિકતા ગરીબી આપે છે અને કોરી ભૌતિકતા અશાંતિ આપે છે. આ બંનેનો મેળ થવો જોઈએ. દર્શનશાસ્ત્રના વિદ્વાન આચાર્ય ઉદયવીર શાસ્ત્રીએ એક ભાષ્યમાં ચાર્વાકનો પરિચય આપ્યો. એમના કહેવા મુજબ જો ગંભીરતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવે તો આસ્તિક ફિલોસોફીની જેમ જ ચાર્વાકે ચિંતન કર્યું છે. ચાર્વાકની ફિલસુફીમાં તર્કને મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે આસ્તિકો ભાવના પ્રધાન અને શ્રધ્ધાવાદી હોય છે. તેઓ કોઈપણ વાતનો વિવેકબુધ્ધિપૂર્વક અથવા તર્કબધ્ધ રીતે સ્વીકાર કરતા નથી. ન્યાયશાસ્ત્રનો મૂળ સિધ્ધાંત પણ પ્રમાણ છે. પ્રમાણ એટલે જ સાબિતી. પ્રમાણ અને પ્રયોગની પ્રક્રિયાને ન્યાયદર્શનના પ્રથમ સૂત્રમાં સામેલ કરવામાં આવી છે. એમાં સંશયનો પણ સમાવેશ છે. ચાર્વાક કહેતા ''જીવાય ત્યાં સુધી મોજમજામાં જીવવું, મૃત્યુ કોઈને છોડનાર નથી અને ખાક થઈ ગયેલો દેહ પાછો ક્યાં આવવાનો છે.'' ચાર્વાકને બૃહસ્પતિ પણ કહેવામાં આવે છે. તેઓ પુનઃજન્મમાં પણ માનતા નહોતા, જે લોકો એમ માને છે કે માણસ ખોટા કામ કરે તો પુનઃજન્મમાં મહાદુઃખ પામે. તેને ચાર્વાક જવાબમાં કહે છે કે મરણ પછી શરીર ભસ્મ થઈ જાય છે. આ જન્મમાં જે ખાદ્યુ પીદ્યુ છે એ ફરીથી આવવાનું નથી માટે આનંદમાં રહો અને નીતિથી ચાલો. કોઈ લોક નથી કોઈ પરલોક નથી. મતલબ કે ચાર્વાક પણ નીતિમાં માનતા હતા પણ નરકનો ભય બતાવવામાં માનતા નહોતા. આપણે આપણી મેળે નીતિવાન બનવું જોઈએ. એમ એ કહેતા. તે પ્રત્યક્ષ પ્રમાણનો જ સ્વીકાર કરતાં અનુમાનમાં પડતાં નહીં. ઈશ્વર અભૌતિક પદાર્થ છે એટલે પ્રત્યક્ષ પ્રમાણથી એને સિધ્ધ કરી શકાય જ નહીં, એનો અર્થ એ નથી કે ચાર્વાક ભોગવાદી હતા કે ભ્રષ્ટાચાર અને અનીતિથી પણ નાંણા પ્રાપ્ત કરી તેનો ઉપભોગ કરવાનું કહેતા. તેઓ એમ માનતાં કે નીતિથી ચાલો અને એમ પણ કહેતા કે જેનું આચરણ કરવાથી સંસારમાં ઉત્તમ સુખ પ્રાપ્ત થાય એનું જ નામ ધર્મ. ચાર્વાક કહેતા કે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એમ ચાર મૂળભૂત તત્વો છે. તેને આધારે શરીરની રચના થઈ છે. જ્યારે વૈદિક દ્રષ્ટિએ પાંચ તત્વો ગણાવ્યા છે. ચાર્વાક આકાશનો ઉલ્લેખ કરતાં નથી. ચાર્વાક એમ પણ કહે છે કે મૃત્યુ પછી જીવ પ્રત્યક્ષ થતો નથી એટલે ચેતનયુક્ત શરીર જ આત્મા છે. કોઈ પદાર્થ જોવામાં ન આવે તો એનો નાશ કંઈ રીતે થાય. આ વાત આજના સંદર્ભમાં વૈજ્ઞાાનિક રીતે બહુ સાચી છે. વિજ્ઞાાન કહે છે કે કોઇપણ તત્વનો નાશ થતો નથી. પણ રૃપાંતર થાય છે. શરીરને અગ્નિસંસ્કાર દેવાથી એમાંના તત્વો નાશ પામતાં નથી. પણ પૃથ્વીમાં પાછા ભળી જાય છે. આ બાબતમાં વિશેષ જાણકારી મેળવવા માટે ઉંડા ઉતરીએ તો આશ્ચર્ય થાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે હમણા જેની પૂણ્યતિથિ ગઈ એ શહિદ ભગતસિંહ નિરીશ્વરવાદી હતા. ફક્ત ત્રેવીસ વરસની વયે એમણે ''હું કેમ નિરીશ્વરવાદી છું ?'' નામની પુસ્તિકા લખેલી. એમાં એમણે પોતાને ઈશ્વરમાં કેમ વિશ્વાસ નથી એ દાખલા દલીલ સાથે સમજાવેલું. એમણે પૂછેલું કે ''તમારો સર્વ શક્તિમાન ઈશ્વર માણસને એ પાપ કે અપરાધ આચરતો હોય એ જ ઘડીએ કેમ અટકાવી શકતો નથી ? જો એ સર્વશક્તિમાન હોત તો સહેલાઈથી આમ કરી શકત. આ ભગવાને યુધ્ધખોર સત્તાધીશોને જ કેમ હણી ન નાખ્યા ? જો એમ કર્યુ હોત તો વિશ્વયુધ્ધે માનવજાતને માથે જે ઘોર આપત્તિ ઝીંકી એ ટાળી શકાત. શા માટે એણે અંગ્રેજોના મનમાં એવી શુધ્ધ લાગણી ન જગાડી કે તેઓ ભારતને સ્વતંત્ર કરી દે ?'' કોઈ પ્રશ્ન પૂછે કે ઈશ્વર ન હોય તો સૃષ્ટિ અથવા દુનિયા કોણે બનાવી ? ભગતસિંહે કહ્યું, ''ચાર્લ્સ ડાર્વિને આ વિષય ઉપર પ્રકાશ પાડયો જ છે એનો અભ્યાસ કરો. આ પ્રશ્નનો ઉત્તર મળી રહેશે. સૃષ્ટિનું સર્જન એ કુદરતની એક પ્રક્રિયા માત્ર છે. જુદા જુદા પદાર્થોના આકસ્મિક મિશ્રણ દ્વારા સર્જાયેલી નિહારિકાએ આ પૃથ્વીને જન્મ આપ્યો છે એ જ પ્રક્રિયા આગળ વધતાં પ્રાણીઓ ઉત્પન્ન થયા અને અને એમાંથી જ માણસ પેદા થયો.'' આપણે ઈશ્વરમાં માનીએ કે નહીં અને ઈશ્વર છે કે નહીં. એ જુદો મુદ્દો છે. મૂળ મુદ્દો માનવધર્મનો છે. આસ્તિકો અને નાસ્તિકો માનવધર્મ અપનાવી લે તો દેશના ઘણા પ્રશ્નો દૂર થઈ જાય. કોમને નામે, જ્ઞાાનિને નામે, કે પ્રદેશના નામે અને ભાષાને નામે લોકો ઝઘડે નહીં. ઉમાશંકર જોષીના શબ્દોમાં, ''હું માનવી માણસ થાઉં તો ઘણું.' |
-Gujarat Samachar